શહેરમાં હાર્ટએટેકના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ ત્રણ વ્યક્તિનાં મોત થયા છે. જેમાં શિક્ષકનું શાળામાં અને એક આધેડ અને પ્રૌઢનું તેના ઘેર અચાનક ઢળી પડતા મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે.જાણવા મળતી વિગતો મુજબ નાનામવામાં ભીમનગર પાસે લાલા લજપતરાય આવાસ ટાઉનશિપમાં રહેતા કમલેશભાઇ નરેશભાઇ જોષી (ઉ.40) ગોંડલ રોડ પર પટેલ કન્યા કેળવણી મંડળ સંચાલિત કન્યા છાત્રાલયમાં શિક્ષક તરીકે નોકરી પર હતા ત્યારે સ્ટાફ રૂમમાં અન્ય શિક્ષકો સાથે બેઠા હતા ત્યારે અચાનક ઢળી પડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. મૃતક બે ભાઇમાં મોટા હતા અને તેને સંતાનમાં એક પુત્રી છે. બનાવ અંગે પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
જ્યારે બીજા બનાવમાં કોઠારિયા સોલવન્ટ પાસેના નુરાનીપરામાં રહેતા મહમદભાઇ સલીમભાઇ સીડા (ઉ.46) સાંજે તેના ઘર પાસે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે તેના પરિવારમાં શોક છવાયો છે બનાવને પગલે પાેલીસે તપાસ કરતા મૃતક ત્રણ ભાઇ એક બહેનમાં વચેટ હોવાનું અને તેને સંતાનમાં બે પુત્ર હોવાનું પરિવારજનોએ જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.