રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં રહેતા એસ્ટેટબ્રોકર ભાગીદારો સાથે જમીનમાં કમિશન અપાવવાના બહાને રૂપિયા 3 કરોડની ઠગાઈ કર્યાના બનાવમાં ચાર સ્વામી સહિતની ટોળકી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. દરમિયાન પોલીસે સુરતમાં રહેતા ચીટર ટોળકીના સાગરીત અને કામરેજના શિક્ષકને ઝડપી લઈ ચાર દિવસના રિમાન્ડ પર મેળવી ફરાર સ્વામી સહિતની ટોળકીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. જ્યારે રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખા ટીમ દ્વારા આરોપી ભૂપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણની ગોવાથીધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મવડીના નવલનગરમાં રહેતા અને ભક્તિનગર સર્કલ પાસેના મેઘાણી રંગભુવનમાં ઓફ્સિ ધરાવતા જસ્મીન બાલાશંકર માઢક અને જય મોલિયા નામના એસ્ટેટબ્રોકર ભાગીદારો સાથે ધોરાજીના ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વી. પી. સ્વામી, જૂનાગઢના જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે. કે. સ્વામી, અંકલેશ્વર પાનોલીના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ. પી. સ્વામી, આણંદના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રીય સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરતના સુરેશ ધોરી, ભૂપેન્દ્ર પટેલ, વિજયસિંહ આલુસિંહ ચૌહાણ સહિતની ટોળકી દ્વારા લિંબ ગામે પોઈચા જેવું મંદિર અને ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદવાના બહાને રૂ. 3.04 કરોડની ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ જસ્મિન માઢકે નોંધાવતા પોલીસે ચીટર ટોળકી સામે ગુનો નોંધ્યો હતો.