દિવાળીના તહેવારોને આડે હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે, ત્યારે પ્રકાશ પર્વને મનાવવા માટે પ્રજાજનોમાં આનંદ-ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. બીજી તરફ રાજકોટ મધ્યસ્થ જેલના પાકા કામના 28 કેદી તેમના પરિવારજનો સાથે દિપાવલીનો તહેવાર મનાવી શકે તે માટે અધિક જિલ્લા કલેક્ટર દ્વારા આજથી 15 દિવસની પેરોલ રજા મંજુર કરી દેવામાં આવી છે. જેમાં 12 મહિલા કેદીનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે.
રાજ્યના ગૃહ વિભાગના આદેશના પગલે ખાસ શરતોને આધિન આજે તા. 29 ઓક્ટોબર 2024થી તા. 12 નવેમ્બર 2024 સુધી રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા 12 મહિલા સહિત પાકા કામના 28 કેદીઓને 15 દિવસના પેરોલ રજા પર મુક્ત કરવા અધિક જિલ્લા કલેક્ટર દ્વારા હુકમ કરી દેવામાં આવેલ છે. આ 28 કેદીઓ પેરોલ રજા પર રાજકોટ જિલ્લા મધ્યસ્થ જેલમાંથી મુક્ત થતાં આ કેદીઓ અને તેમના પરિવારજનોમાં આનંદની લાગણી છવાઇ જવા પામી છે.