સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લાંબા સમયથી રાહ જોઈ રહેલા જૂના અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
પરીક્ષા વિભાગ દ્વારા વર્ષ 2010 થી 2015 સુધીનાં રજિસ્ટ્રેશન થયેલ સ્નાતક (UG) અને અનુસ્નાતક (PG) કક્ષાનાં વિદ્યાર્થીઓની બાકી રહેલ બેકલોગ પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે.
26 ડિસેમ્બરથી યુનિવર્સિટીની જુદી-જુદી 8 ફેકલ્ટીના 46 કોર્સની પરીક્ષાનો પ્રારંભ થશે. યુનિવર્સિટી દ્વારા જાહેર કરેલા ટાઈમટેબલ મુજબ સ્નાતક કક્ષાએ સેમેસ્ટર-5 અને સેમેસ્ટર-6 તેમજ અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર-3 અને સેમેસ્ટર-4ના સત્રની લેખિત પરીક્ષાઓ તા. 26 ડિસેમ્બરથી શરૂ થશે.
આ પરીક્ષાઓનો સમયગાળો સવારની પાળીમાં 10.30 થી 1:00 અને બપોરની પાળી 2.30 થી 5:00 કલાક દરમિયાન લેવાશે. આ પરીક્ષામાં વિવિધ વિદ્યાશાખાઓ (ફેકલ્ટી)ના કોર્સનો સમાવેશ થાય છે.
યુનિવર્સિટી માટે સૌથી મોટો પડકાર કોઇપણ પ્રકારના વિવાદ વિના પરીક્ષા પૂર્ણ કરવાનો છે. કારણ કે અગાઉની જેટલી પરીક્ષા લેવાઈ તેમાં કોઈને કોઈ વિવાદ થયા છે.