રાજકોટ શહેરનાં જૂના દાણાપીઠ વિસ્તારમાં ગઈકાલે રાતે એક વિચિત્ર ઘટના સામે આવી છે. 25 લોકોના ટોળાએ વકફ બોર્ડનો ઓર્ડર બતાવી ત્રણ દુકાનોનાં તાળાં તોડી સામાન રોડ પર ફેંકીને દુકાનો ખાલી કરાવી હતી. વર્ષોથી ભાડાપટ્ટે રહેલી દુકાનો એકાએક ખાલી કરાવવામાં આવતા વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી હતી. જોકે, સમગ્ર મામલે વધુ વિવાદ થાય તે પહેલાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને દુકાનનાં તાળા તોડીને સામાન બહાર ફેંકનાર સહિતના લોકો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.
આ દુકાનો ખાલી કરાવવા મામલે રાજકોટ શહેર DCP ઝોન-2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, ફારૂક મુસાણી સહિત 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આમાં વક્ફ બોર્ડના આદેશ બાદ ખાલી કરાવી હોવાનો લેટર છે, તે વેરિફિકેશન કરવામાં આવી રહ્યો છે. વકફ બોર્ડના લેટરમાં નિયમ મુજબ ખાલી કરાવવાનું લખેલું છે જેના નિયમ મુજબમાં નોટિસ આપવાની હોઈ અને પોલીસને સાથે રાખી ખાલી કરાવવાની રહેતી હોય છે. દુકાનો નિયમ મુજબ ખાલી કરાવવામાં આવી ન હોવાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.