રાજકોટ શહેરમાં મુખ્યમંત્રીના આગમન ટાકણે જ કોંગ્રેસે મહાનગરપાલિકાના રેઢિયાળ તંત્રનો ભાંડાફોડ કર્યો હતો. રાજકોટ શહેર 23 આરોગ્ય કેન્દ્રોમાં છેલ્લા પાંચ દિવસથી આયુષ્માન કાર્ડ નીકળવાની કામગીરી સદંતર બંધ હોવાનો ધડાકો કર્યો છે અને તેના પરિણામે લોકોને ભારે હેરાનગતિ થઇ રહ્યાનો દાવો કર્યો છે.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ રાજકોટ શહેરમાંથી છેલ્લા પાંચેક દિવસથી રાજકોટ મહાનગરપાલિકાના 23 આરોગ્ય કેન્દ્ર પરથી આયુષ્માન કાર્ડ નીકળવાનું સદંતર ઠપ થઈ ગયું છે. જો કે અમુક આરોગ્ય કેન્દ્ર પર તો લાંબા સમયથી આ કામગીરી આટોપી લેવામાં આવી છે. આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી સાથે વાત થયા મુજબ રાજ્ય સરકારના સોફ્ટવેરમાં ફેરફારને કારણે સમસ્યા ઊભી થઈ છે. જે આવકના દાખલા ઉપર આયુષ્માન કાર્ડ નીકળતા હતા તે બંધ થયા છે અને કયારે શરૂ થશે એ કાંઈ નક્કી ન કહી શકાય એટલે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
ક્યારેક રાજ્ય સરકારના સોફ્ટવેર અને ક્યારેક કેન્દ્ર સરકારના સોફ્ટવેર અને ક્યારેક રાજકોટ મહાનગરપાલિકાના અણઘડ વહીવટને પગલે જન્મ મરણના દાખલા, આધારકાર્ડ, આયુષ્માન કાર્ડ જેવા અગત્યના દસ્તાવેજો અને જે આરોગ્યમાં જરૂરી હોય તે સંપૂર્ણપણે જ્યારે બંધ હોય ત્યારે મહાનગરપાલિકાથી લઈને ઉપર સુધી છેક કેન્દ્ર સરકાર સુધી ભાજપ સરકાર હોય અને તેમ છતાં સરકારો અને મહાનગરપાલિકા, નગરપાલિકા વચ્ચે સંકલનના અભાવે લોકોને ભોગવવાનું આવે છે. લાઈનો બંધ થતી નથી. લોકોને કોઈપણ ડોક્યુમેન્ટ માટે સવારથી સાંજ સુધી ધક્કા ખાવા પડે છે. અને તેમ છતાં નેટવર્કના પ્રોબ્લેમને કારણે ખામીયુક્ત સેવાથી ભારે હાલાકી ભોગવવી પડે છે. ખામીયુક્ત સોફ્ટવેર ક્યારે શરૂ કરાશે તેની કોઈ માહિતી ઉપરથી નીચે સુધીના સરકારી તંત્ર પાસે ન હોવાને બદલે લોકોને રોજબરોજ આયુષ્માન કેન્દ્ર પર આંટાફેરા કરવા પડે છે.