ક્રિસમસ પછી બીજા દિવસે સવારે લગભગ 8 વાગ્યા હતા. ઘણા લોકો હજુ જાગ્યા પણ નહોતા. એ જ સમયે ઈન્ડોનેશિયામાં સુમાત્રા આઇલેન્ડની પશ્ચિમમાં ધરતીથી 30 કિમી નીચે ભારતીય અને બર્મન ટેકટોનિક પ્લેટોમાં ભારે હલચલ જોવા મળી હતી. આ હલચલને કારણે હિંદ મહાસાગરમાં 9.1થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આ ભૂકંપ એટલો જોરદાર હતો કે હિંદ મહાસાગરમાં ઊંચાં મોજાં ઊછળ્યાં. આ મોજાં લગભગ 800 કિમી/કલાકની ઝડપે આગળ વધી રહ્યાં હતાં અને કિનારે અથડાઈ રહ્યાં હતાં. જેમ જેમ એ અથડાઈ રહ્યાં હતાં એમ એમ એની ઊંચાઈ પણ વધી રહી હતી. જેમ જેમ ઊંચાઈ વધી રહી હતી એમ એમ અનેક દેશોનાં શહેરો અને વસતિવાળા વિસ્તારોમાં દરિયાનું પાણી ઘૂસી રહ્યું હતું.
57 ફૂટની સરેરાશ ઊંચાઈ ધરાવતાં મોજાં ઘણા દેશોનાં મુખ્ય શહેરોને ઘેરી વળ્યાં હતાં. મોજાં આગળ વધતાં મોતના દૃશ્યો ફેલાઈ ગયાં હતાં. ઈન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા અને જાપાન સહિત 14 દેશમાં 2 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે. ઈન્ડોનેશિયામાં સૌથી વધુ 1.72 લાખ લોકો માર્યા ગયા હતા.
ઘણી જગ્યાએ આ મોજાંની ઊંચાઈ 100 ફૂટથી વધુ હતી. આ મોજાં જે મૃત્યુનું કારણ બને છે એને સુનામી તરીકે ઓળખવામાં આવે છે.