2 મહિલા સહિત 4 વ્યાજખોરનો ઘરમાં ઘૂસી પરિણીતા પર હુમલો

રૈયા રોડ પર રહેતા મહિલા પર બે મહિલા સહિત ચાર વ્યાજખોરે હુમલો કર્યો હતો. રૈયા રોડ પર લાઇટહાઉસમાં રહેતા જાગૃતિબેન જીજ્ઞેશભાઇ રાઠોડે (ઉ.વ.35) યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હિરલ મનહરલાલ કોટક, રાજુ મનહરલાલ કોટક, સરોજ મનહરલાલ કોટક અને હરિ ભરવાડના નામ આપ્યા હતા. જાગૃતિબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોરોના વખતે તેના પતિ બીમાર પડતાં દવા માટે રાજુ કોટક પાસેથી રૂ.1.25 લાખ 4 ટકા વ્યાજે લીધા હતા જેની સામે રૂ.2.10 લાખ ચૂકવી દીધા છે.

બે વર્ષ પહેલાં હિરલ પાસેથી રૂ.1.50 લાખ 2 ટકા વ્યાજે લીધા હતા અને તેને પણ રૂ.78 હજાર ચૂકવી અાપ્યા છે. શનિવારે રાત્રે હિરલ, સરોજ અને હરિ ભરવાડ જાગૃતિબેનના ઘરમાં ઘૂસી ગયા હતા અને નાણાંની ઉઘરાણી કરી મારકૂટ કરી હતી અને હરિ ભરવાડે ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *