રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા બે વર્ષની અંદર કરેલ કામગીરીમાં અંદાજે 195 જેટલા વાહનો ટોઇંગ અને ડીટેઇન કરેલા યથાવત પડ્યા છે. જેમાં ટુ વ્હીલરો અને રીક્ષાઓનો સમાવેશ થાય છે. વાહનો ટોઇંગ અને ડીટેઇન થયા બાદ વાહન માલિકો છોડાવવા માટે આવતા ન હોવાથી ટ્રાફિક પોલીસે જાહેરાત કરી હતી. જે બાદ શહેર પોલીસની ઓફિશિયલ વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ થકી પણ વાહનો છોડાવી જવાની અપીલ કરવામાં આવી હતી.
જે બાદ જે વાહનો ડીટેઇન અને ટોઇંગ થયેલા છે તેના માલિકોને નોટિસ પણ ફટકારવામાં આવેલ હતી. પરંતુ તે નોટીસ પરથી ફકત બે વાહન ચાલકો જ પોતાના વાહનો છોડાવી ગયા હતા. જયારે 195 વાહનોના માલિક ન આવતા હરાજીનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ડીસીપી ટ્રાફિક દ્વારા એસીપીના અધ્યક્ષતાની એક કમીટી બનાવવામાં આવી છે જેમાં ટ્રાફિક પીઆઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ જે તે પોલીસ મથકના પીઆઇ તેમજ આરટીઓના અધિકારીને પણ સમાવેશ કરવામાં આવશે. જે કમીટી વાહનોની અપસેટ પ્રાઇઝ શું રાખવી તેમજ હરાજીના નિયમો અંગેનો નિર્ણય કરશે. તે બાદ બે દિવસની અંદર જ તમામ વાહનની હરાજી કરવામાં આવશે.