રાજકોટમાં ચોમાસાની શરૂઆતે રોગચાળો વકર્યો છે. જેમાં ગત સપ્તાહનાં 1298ની સામે ચાલુ સપ્તાહે વિવિધ રોગના મળી 1855 કેસ નોંધાયા છે. તેમાં પણ મેલેરિયાનો 1 અને ટાઇફોઇડ તાવના 4 કેસ તેમજ કોલેરાનાં 2 કેસ સામે આવ્યા છે. શરદી-ઉધરસનાં સૌથી વધુ 1076 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જોકે, આંકડાઓ માત્ર મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં રાખીએ તો આંકડો 5 ગણો એટલે કે, 9,000 કરતા વધુ હોવાની શક્યતા છે.
પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1855 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં ગત સપ્તાહનાં 720 કેસ સામે આ સપ્તાહે 1076 કેસ, ઝાડા-ઉલટીનાં 217 સામે 296 કેસ અને સામાન્ય તાવનાં પણ 358 સામે 476 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં મેલેરિયાનો 1 કેસ નોંધાયો છે. એટલું જ નહીં ટાઈફોડ તાવનાં 4 દર્દીઓ અને કોલેરાનાં 2 કેસ સામે આવતા ફોગીંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે.