રાજકોટ મનપાનાં ચોપડે શરદી-ઉધરસ-તાવનાં 1803 દર્દી નોંધાયા

રાજકોટમાં હાલ મિશ્રઋતુ ચાલી રહી છે. જેને લઈને આગામી સમયમાં રોગચાળો વકરવાની શક્યતા છે. ગત સપ્તાહમાં રાજકોટ મનપાનાં ચોપડે શરદી-ઉધરસ અને તાવનાં 1803 દર્દી નોંધાયા છે. જ્યારે ઝાડા-ઉલ્ટીના 184 તેમજ ડેંગ્યુ અને ટાઇફોઇડનાં 2-2 કેસ નોંધાયા છે એટલું જ નહીં સતત બીજા સપ્તાહે જોખમી ગણાતા કામળાનો વધુ 1 દર્દી સામે આવ્યો છે. વિવિધ રોગના મળી કુલ 1992 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. અને રોગચાળો કાબુમાં રાખવા ફોગીંગ સહિતની વિવિધ કામગીરી ઝડપી કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1992 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં ગત સપ્તાહના 949 સામે છેલ્લા સપ્તાહે 991 કેસ, ઝાડા-ઉલટીનાં 184, સામાન્ય તાવનાં 812 કેસ નોંધાયા છે. ઉપરાંત સતત બીજા સપ્તાહે અતિ જોખમી ગણાતા ટાઇફોઇડ તાવનાં 2 કેસ અને કમળાનો પણ 1 કેસ નોંધાયો છે. આંકડાઓ સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈએ તો કુલ દર્દીનો આંકડો 10,000 કરતા વધુ હોવાની પણ શક્યતા છે.

મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, હાલમાં સવારે અને રાત્રે શિયાળો તો બપોરના સમયે ઉનાળો એમ મિશ્રઋતુનો અનુભવ થાય છે. આવા વાતાવરણમાં વાયરલ ઇન્ફેક્શન વધવાની શક્યતા રહેતી હોય છે. ત્યારે લોકોએ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની સાથે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. અને સામાન્ય સૂકી ઉધરસ માટે હળદરનો ઉપયોગ કરવો એ હિતાવહ છે. ઉપરાંત જો કોઈપણ પ્રકારે તબિયત વધુ લથડતી લાગે તો તરત જ મનપાનાં આરોગ્ય કેન્દ્રો અથવા સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડૉક્ટર્સની સલાહ લઈ તે મુજબની દવા કરવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *