રાજકોટમાં તહેવારો બાદ મિશ્રઋતુને કારણે રોગચાળો વકરી રહ્યો છે. ડેંગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગ સહિત હવે ટાઇફોઇડ તાવ જેવા રોગના દર્દી પણ સામે આવી રહ્યા છે. શહેરમાં છેલ્લા બે માસથી ડેંગ્યુનાં કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ચાલુ સપ્તાહે વધુ 16 ડેંગ્યુનાં કેસો સામે આવ્યા છે. ઉપરાંત ટાઇફોઇડ તાવનાં 2 અને ચિકનગુનિયાનાં 2 દર્દીઓ સામે આવ્યા છે. તો વિવિધ રોગોના 2547 કેસ નોંધાયા છે. જેમાં શરદી-ઉધરસનાં સૌથી વધુ 1286 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જોકે આંકડાઓ માત્ર મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં રાખીએ તો આંકડો 5 ગણો એટલે કે, 10,000થી વધુ હોવાની શક્યતા છે.
પ્રાપ્ત વિગત મુજબ, છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 2547 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં 1286 કેસ, ઝાડા-ઉલટીનાં 195, સામાન્ય તાવનાં 1045 કેસ નોંધાયા છે. ઉપરાંત મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 16 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં ટાઈફોડ તાવ અને ચિકનગુનિયાનાં 2-2 કેસ અને મેલેરિયાનો 1 કેસ નોંધાયો છે. જેને લઈને હાલ આરોગ્ય વિભાગ દ્વારા ફોગીંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે.