રાજકોટમાં ઓગસ્ટમાં આયોજિત લોકમેળા માટે વહીવટીતંત્રએ ભલે તૈયારી આંરભી દીધી હોય. પરંતુ આ વર્ષે પણ મેળો થશે કે કેમ તે એક સૌથી મોટો પ્રશ્ન સર્જાયો છે. કારણ કે જેના માટે લોકમેળો સૌરાષ્ટ્રભરમાં જાણીતો અને માણવાલાયક બને છે તે રાઈડસ માટે એક પણ ફોર્મ ભરાઈને પરત આવ્યા નથી. 14 થી 18 ઓગસ્ટ સુધી યોજાનારા લોકમેળા માટે અત્યાર સુધીમાં 155 ફોર્મ ઉપડયા છે. પરંતુ ભરાઈને આવ્યા છે માત્ર 20 જ. જો કે તંત્રએ મુદત તો વધારી દીધી છે પરંતુ આમ છતા રાઈડસ સંચાલકોએ તેઓ ભાગ નહિ લે તે સ્પષ્ટ પણે કહી દીધું છે.
લોકમેળા માટે ફોર્મ ભરીને પરત કરવાની મુદતમાં ત્રીજી વાર વધારો કરવામાં આવ્યો છે અને આ વખતે અંતિમ મુદત 11 જુલાઈ નકકી કરવામાં આવી છે.એક બાજુ તંત્રને આશા છે કે મેળા માટેના ફોર્મ ઉપડશે જ્યારે રાઇડસ સંચાલકો પણ પોતાની જીદ પકડીને બેઠા છે કે તેઓને એસ.ઓ.પી.માં રાહત જોઇએ છે. જો કે ફાઉન્ડેશનને લઇને રાઇડસ સંચાલકોએ એવો દાવો કર્યો છે કે રાઈડસમાં જે લોખંડનું ફાઉન્ડેશન આવે છે તે સુરક્ષિત જ રહે છે.
આ ફાઉન્ડેશનમાં વજન અલગ- અલગ હિસ્સામાં વંહેચાઈ જાય છે. જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદારી રાઇડસ સંચાલકોની રહેશે તેમજ જે બિલ માંગવામાં આવે છે તે દરેક રાઈડસમાં આપવું શકય નથી. આમ, જો એસઓપીમાં કોઈ રાહત નહિ અપાય તો રાઈડસ વગર ભલે મેળો થઇ જાય અમે એક પણ ફોર્મ ઉપાડીશું નહીં.