રાજકોટ શહેરના માધાપર ચોકડીએ બિલ્ડર બાકીર ગાંધીએ જીડીસીઆરના તમામ નીતિ નિયમો નેવે મુકીને બાંધેલા નેક્ષસ બિલ્ડિંગ સામે કાર્યવાહી કરવામાં મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ ‘વહુ સસરાનો ઘૂમટો તાણે’ તે રીતે ઘૂમટો તાણી રહ્યા છે અને 12 વખત આરએન્ડબીનો અભિપ્રાય મેળવ્યા બાદ પૂર્વ ટીપીઓએ આ બિલ્ડિંગ સીલ કરવા છ માસ પૂર્વે નોટિસ પણ કાઢી હતી અને આમ છતાં હવે નેક્ષસને બચાવવા નવા ટીપીઓએ લીગલ અભિપ્રાય માંગતા અનેક સવાલો ઉભા થયા છે.
તાજેતરમાં અમદાવાદમાં બીયુ પરમિશન ન ધરાવતી શાળાઓ અને હોસ્પિટલો સહિત 12 બિલ્ડિંગને મહાનગરપાલિકાએ સીલ મારી દીધા હતા જ્યારે રાજકોટની ભાગોળે માધાપર ચોકડીએ બિલ્ડર બાકીર ગાંધીએ ગેરકાયદે ખડકેલા નેક્ષસ બિલ્ડિંગમાં જીડીસીઆરના તમામ નીતીનિયમો નેવે મુકીને બાંધકામ કરાયું હોવા છતાં તેમની સામે કાર્યવાહી કરવામાં મહાપાલિકાના અધિકારીઓ લાજ કાઢી રહ્યા છે અને આ મુદ્દે શાસકો પણ મૌન ધારણ કરીને બેઠા હોય તેમ અધિકારીઓને એક સવાલ પણ પુછતા નથી.
મહાનગરપાલિકાની ટીપી શાખાએ કામગીરી ન કરવી પડે તે માટે અત્યાર સુધીમાં 12 વખત આરએન્ડબી વિભાગનો અભિપ્રાય લીધા બાદ પૂર્વ ટીપીઓ કિરણ સુમરાએ નેક્ષસ બિલ્ડિંગને સીલ મારી દેવા આદેશ કર્યો હતો. પરંતુ આ આદેશની અમલવારી પૂર્વ અધિકારી અને વર્તમાન સેન્ટ્રલ ઝોનના ટીપીઓ હેતલ સોરઠિયાએ કરી નથી અને હવે આ મુદ્દે નવા ઇન્ચાર્જ ટીપીઓ આર.ડી.પરમારનો સંપર્ક કરતા તેઓએ લીગલ અભિપ્રાય માગ્યો છે.