રાજકોટ મનપાની ટાઉન પ્લાનિંગ શાખા આજે મેદાને આવી હતી અને માત્ર એક દિવાલ તોડવાની સાથે 1 મિલકત સીલ કરી કામગીરી કર્યાનો સંતોષ માની લીધો હતો તો સાથે જ આર. કે. પ્રાઈમ – 2 માં પાર્કિંગના નામે નાણા ઉઘરાવી ઓફિસધારકો સાથે ફ્રોડ થયાના આક્ષેપો અગાઉ થયા હતા, જે મામલે મહાપાલિકાની ટીમે તપાસ કરી હતી. જેમાં ઓફિસધારકોએ બિલ્ડીંગના માલિકો સામે પોલીસમાં અરજી કર્યા બાદ મામલો કોર્ટમાં છે.
ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ડિમોલિશન હાથ ધરાયું રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે વોર્ડ નં.8 તથા વોર્ડ નં.1માં થયેલ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દૂર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં વોર્ડ નંબર-8માં કાલાવડ રોડ પર સૂર્યોદય સોસાયટી, શેરી નં.2માં ભૂપતસિંહ વાઘેલાએ કરેલુ ગેરકાયદેસર બાંધકામ સીલ કરવામા આવ્યું હતુ. જ્યારે વોર્ડ નંબર-1માં શાંતિનિકેતન સોસાયટીથી અમૃત પાર્કને જોડતા માર્ગ પર બનાવેલ ચણવામાં આવેલી ગેરકાયદેસર દિવાલ તોડી પાડવામાં આવી હતી. આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના આસી. ટાઉન પ્લાનર એમ. આર. શ્રીવાસ્તવ, એસ.જે.સીતાપરા, વેસ્ટ ઝોનનો ટેકનિકલ સ્ટાફ, જગ્યા રોકાણ શાખા, રોશની શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહયો હતો.