જન્માષ્ટમીના લોકમેળાના રાઈડસ સંચાલકોને ડીપોઝીટની રકમ પરત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે. સીટી પ્રાંત-1 અધિકારી ચાંદની પરમાર દ્વારા આ અંગેની ફાઈલ જિલ્લા કલેકટર પ્રભવ જોશીને મોકલી દેવામાં આવી છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમીનો લોકમેળો ભારે વરસાદ ખાબકતા રદ કરવામાં આવેલ હતો. જેના પગલે ડીપોઝીટ અને ભાડાની રકમ ભરપાઈ કરનારા સ્ટોલ ધારકોને તેમની આ રકમ વહીવટીતંત્ર દ્વારા પણ કરવામાં આવી હતી. પરંતુ એસઓપીના મામલે એક સાથે 37 જેટલી રાઇડસ રૂ. 1.27 કરોડમાં રાખતા દશરથસિંહ સહિતનાં સંચાલક ગુજરાત હાઈકોર્ટમાં જતા અંતે સુરક્ષાના મામલે એસઓપીમાં બાંધછોડ કરવાનો હાઈકોર્ટ દ્વારા ઈન્કાર કરાયો હતો. જે બાદ રાઈડસ સંચાલકની ડિપોઝીટની રકમ અટવાઈ પડી હતી. જોકે રાઇડ્સ ધારકોએ હાઇકોર્ટમાં કરેલો કેસ પરત ખેંચી લેતા હવે વહીવટીતંત્ર દ્વારા 15 દિવસમાં ડિપોઝિટની રકમ પરત કરી દેવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. જોકે આ રકમ પણ 4 માસ બાદ પરત મળશે.