રાજકોટના તરઘડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ચાલતી સ્પેશ્યલ પ્રોજેક્ટ ઓન કોટન યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના સ્ટેટ નોડલ ઓફિસર અને નાગપુર સ્થિત સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોટન રિસર્ચના વૈજ્ઞાનિક ડો. વિવેક શાહ અને ડો. જયવર્ધને પ્રોજેક્ટની કાર્યપદ્ધતિ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી હતી. જેના વડા ડો. જી. વિ.મારવીયા દ્વારા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કરવામાં આવેલ વિવિધ પ્રવૃતિઓને પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરવામાં આવ્યુ હતું. આઇ.સી.એ.આર. દ્વારા પાક કૌતુકાલય, એન્ટોમોફેગસ પાર્ક, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ફાર્મ, નેચરલ ફાર્મિંગ યુનિટ, જમીન અને પાણી ચકાસણી પ્રયોગશાળા, પ્રોસેસિંગ યુનિટ, સીડ સ્ટોરેજ ગોડાઉન, ખેડૂત છાત્રાલય વગેરેની મુલાકાત લઈ સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.ડો. જે.એચ.ચૌધરી દ્વારા સ્પેશિયલ પ્રોજેક્ટ ઓન કોટનની વિવિધ પ્રવૃતિઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ રાજકોટ તાલુકાના મઘરવાડા ગામ ખાતે એક ખેડૂતના ખેતરની મુલાકાત પણ કરી હતી. રાજકોટ જિલ્લાના ખેડૂતો કપાસની ખેતીનું સાંકડા ગાળે વાવેતર કરી વધુ ઉત્પાદન મેળવે તે માટેના આ સ્પેશિયલ પ્રોજેક્ટ ઓન કોટન પ્રોજેક્ટની રાજકોટ જિલ્લામાં થતી પ્રવૃતિઓ જોઈને બંને વૈજ્ઞાનિકો ખૂબજ પ્રભાવિત થયા હતા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતો માટે કરવામાં આવેલ કાર્યને બિરદાવ્યું હતું.