છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા IPS જગદીશ બાંગરવા સામે થયેલ આક્ષેપ બાદ તબીબી રિપોર્ટમાં ઘટસ્ફોટ થવા પામ્યો છે. રાજકોટમાં સુરેશ વડેચા નામનો યુવાન હોસ્પિટલમાં દાખલ છે, જેને મળવા 27 માર્ચના રોજ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પહોંચ્યા હતાં. આ સમયે આક્ષેપ કરતા સુરેશ વડેચાએ જણાવ્યું હતું કે, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ તેને પટ્ટાથી માર માર્યો છે અને કપડા કાઢી ટીંગાડી તેમના ગુદાના ભાગે પેટ્રોલ નાખ્યું છે.
આ પછી કોંગ્રસના કાર્યકારી પ્રમુખ અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સામે FIR દાખલ કરી નોકરીમાંથી ડિસમિસ કરવા માગ કરી હતી. આ પછી દર્દી સુરેશ વડેચાનું સિવિલ હોસ્પિટલમાં જ મેડિકલ ચેકઅપ કરતા તબીબી રિપોર્ટમાં દર્દીના ગુદાના ભાગે પેટ્રોલની કોઈ હાજરી ન મળી હોવાનું તેમજ ગંભીર ઇજા, બ્લડ કે બર્ન ન થયાનું સામે આવ્યું છે. જિજ્ઞેશ મેવાણી બાદ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ પણ દર્દી સુરેશ વડેચાની મુલાકાત લીધી હતી.
સુરેશ વડેચા 23 માર્ચ, 2026ના રોજ રાજકોટ સિવિલમાં દાખલ થયો હતો, ત્યારે ડોક્ટરને પોતાની સાથે બનેલા બનાવ અને ઇજા બાબતે જણાવતા ફરજ પરના ડોક્ટરે ડીસ્ટ્રી લખી છે. જેમાં સુરેશ વડેચાના કહેવા મુજબ, 3-4 લોકો દ્વારા ડીસીબી પોલીસ સ્ટેશનમાં બેલ્ટ અને પાઇપ વડે માર માર્યો છે. હાથ અને પગમાં તથા માથામાં દુઃખાવો, ડાબા કાનમાં દુઃખાવો અને સાંભળવામાં તકલીફ થાય છે, તેવુ જણાવ્યું હતું. ત્યારબાદ તેમની સારવાર ચાલુ કરવામાં આવી હતી.