નવરાત્રીના પાવન પર્વે સુરત શહેરને ભક્તિ અને ઉત્સાહના રંગમાં રંગી દીધું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગરબાના આયોજનોમાં હજારો ખેલૈયાઓ પરંપરાગત અને અનોખા થીમ્સ સાથે ઘૂમી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય સંગીતા પાટીલ જેવા રાજકીય અગ્રણીઓ પણ આ મહોત્સવમાં જોડાયા છે, જ્યારે ઉમિયા ધામમાં ‘ઓપરેશન સિંદૂર’ થીમ પર આધારિત મહાઆરતીએ દેશભક્તિનો માહોલ સર્જ્યો છે.
લિંબાયત વિસ્તારમાં આયોજિત ઝણકાર નવરાત્રી મહોત્સવમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય મહેમાન તરીકે પહોંચ્યા હતા. તેમણે મા અંબાની આરતી કરી અને ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમીને ઉત્સાહ વધાર્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, “આરતીમાં ભાગ લેવો મારા માટે ગર્વની વાત છે.” તેમ જ આઠમના શુભ અવસરે લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ પણ જોડાયા હતા. તેમણે પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ગરબે ઘૂમી અને ભક્તિભાવ વ્યક્ત કર્યો. તેમની સાથે સુરતના ડેપ્યુટી મેયર ડો. નરેન્દ્ર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.