સુરતના લિંબાયત, ડીંડોલી અને સચિન વિસ્તારમાં રખડતા શ્વાને ત્રણ બાળકો પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. ત્રણેય બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવા પડ્યા છે. શ્વાનોના આતંક અને હુમલાની ઘટનાને લઈ લોકોમાં મનપાની કામગીરી સામે રોષ જોવા મળ્યો છે.
5 વર્ષીય બાળક પર હુમલો કર્યો
સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત રહ્યો છે. રોજબરોજ રખડતા શ્વાનો બાળકો અને લોકો પર હુમલા કરી રહ્યા છે ત્યારે આજે ત્રણ બાળકો પર રખડતા શ્વાનોએ હુમલો કર્યો છે. સુરતના લિંબાયત મહાપ્રભુ નગરમાં 5 વર્ષીય બાળક પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. 5 વર્ષીય ઈર્શાદ નામનો બાળક ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક જ શ્વાને હુમલો કરી બાળકના ગાલ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
બીજા બનાવવામાં ડીંડોલી વિસ્તારમાં 11 વર્ષીય બાળક પર પણ રખડતા શ્વાને હુમલો કર્યો છે. 11 વર્ષીય વ્રજ ઘર પાસે રમતો હતો ત્યારે અચાનક બાળક પર શ્વાને હુમલો કરી દીધો હતો. શ્વાને બાળકના પગ પર બચકાઓ ભરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેથી, માતા-પિતા દીકરાને લઈને સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.