સુરતના કતારગામમાં બાંકડા પર બેસવા બાબતે બોલાચાલી થતાં 3 શખસે એક યુવકની હત્યા કરી છે. એક યુવક બાંકડા પર બેઠો હતો. ત્યાં મૃતક યુવકે આવીને કહ્યું કે, અહીં મારે બેસવું છે. પરંતુ હત્યારા યુવકે બાંકડા પરથી ઊઠવાનો ઈનકાર કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તેથી મૃતક યુવકે બાંકડા પર બેઠેલા યુવકને માથામાં પાઈપ મારી દીધો હતો. તેથી બાંકડા પર બેઠેલો યુવક ભાન ભૂલીને બે સાગરિત સાથે મૃતક યુવકને તમાચા, લાતો અને મુક્કાનો વરસાદ વરસાવીને હત્યા કરી નાખી હતી. સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. જોકે, પોલીસ સમક્ષ મામલો પહોંચતા ત્રણેય હત્યારાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર સુરતના કતારગામ લલીતા ચોકડી પાસે મજૂરી કામ કરી ફૂટપાથ રહેતા 24 વર્ષીય શ્યામલાલ નાથુલાલ ચંદ્રવંશીઠાકુરની રાત્રે 9 વાગ્યાના અરસામાં 3 શખસે હત્યા કરી નાખી છે. રિક્ષા ચલાવતા સોહનસિંહ મારવાડા, રાહુલ સપકાલ અને મેહુલ ઉનાગરે લાતો અને મુક્કાનો બેરહેમીપૂર્વક માર માર્યો હતો. તેથી ઈજાગ્રસ્ત થયેલા શ્યામલાલને એમ્બ્યુલન્સ મારફત સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવાયો હતો. હોસ્પિટલમાં શ્યામલાલનું મૃત્યુ થતાં કતારગામ પોલીસને જાણ કરવામાં આવી હતી.