સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હોવાનું માનવામાં આવે છે. ડોક્ટર હેડગેવાર નગરમાં ગણપતિ બાપાના આગમનના વધામણાં માટે લગાવવામાં આવેલા બેનરોને રાત્રી દરમિયાન ત્રણથી ચાર અજાણ્યા શખસોએ ફાડી નાખ્યા હોવાના આરોપ છે. એક દિવસ પહેલા 15 પ્રતિમાઓની આંગળીઓ તોડી નાખી હતી. જોકે, પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બે શખસોને ઝડપી પાડ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના પાછળનું કારણ એક સામાન્ય તકરાર હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આપેલી માહિતી અનુસાર થોડા સમય પહેલાં ગણેશની શોભાયાત્રા દરમિયાન ડીજેમાં ગીતો વગાડવા બાબતે બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ તકરારની અદાવત રાખીને કેટલાક અસામાજિક તત્વોએ ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

ગણપતિ બાપાના બેનરો ફાડીને અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ થતાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. એક દિવસ પહેલા જ 15 ગણેશ પ્રતિમાઓની આંગળીઓ તોડી નાખવાની ઘટના બાદ બની હતી, જેના કારણે પોલીસ દોડતી થઈ હતી. બેનરો ફાડનાર અસામાજિક તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેમાં તેઓ બાબાસાહેબ આંબેડકર સહિતના અન્ય બેનરોને પણ ફાડતા નજરે પડ્યા હતા. આરોપીઓએ માત્ર સોસાયટીના પોસ્ટર જ નહીં પરંતુ નજીકમાં આવેલી દુકાનોના પોસ્ટર પણ ફાડી નાખ્યા હતા. આ ઉપરાંત તેમણે એક ટેમ્પો અને એક ઓટો રિક્ષામાં પણ તોડફોડ કરી હતી. જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *