સુપ્રીમકોર્ટ દ્વારા નિયુક્ત રાધાકૃષ્ણન કમિટીની ભલામણો

નીટ પેપરલીક કેસમાં સર્વોચ્ચ અદાલતના નિર્દેશને પગલે બનેલી આર. રાધાકૃષ્ણન સમિતિએ એનટીએ (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ની પુનર્રચના કરવા ભલામણ કરી છે. હવાઈમથકે મુસાફરોની ઓળખ માટે જે રીતે ડીજી યાત્રા સિસ્ટમનો ઉપયોગ થાય છે તે રીતે વિદ્યાર્થીઓની ખરાઈ કરવા માટે ડીજી એક્ઝામ સિસ્ટમ વિકસિત કરવા સમિતિએ ભલામણ કરી છે. બીજી તરફ માત્ર સરકારી સ્કૂલ-કૉલેજમાં જ ટેસ્ટિંગ સેન્ટર રાખવા ભલામણ કરી છે. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને આ અહેવાલ સુપરત કર્યો છે અને મોટા ભાગની ભલામણોનો અક્ષરશ: અમલ કરવાની ખાતરી આપી છે.

શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે કહ્યું હતું કે એનટીએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટેની નીટ, જેઈઈ, સીયુઈટી સહિત અંદાજે 15 જેટલી પરીક્ષાઓ જ યોજશે પણ ભરતી માટે યોજાતી 2થી 3 પરીક્ષાનું આયોજન નહીં કરે. નીટ સિવાયની બધી પરીક્ષા કમ્પ્યુટર આધારિત હશે. નીટ પેન-પેપર ટેસ્ટ (પીપીટી) મોડમાં ઓએમઆર શીટ પર લેવી કે કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (સીબીટી) યોજવી તે અંગે આરોગ્ય મંત્રાલયે નિર્ણય લેવાનો છે. એક-બે અઠવાડિયાંમાં નિર્ણય લેવાયા પછી નીટ-2025નું જાહેરનામું બહાર પડાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *