રાજકોટનાં જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલનાં નવીનીકરણ માટે મનપા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે ખાસ ડાયવર્ઝન રોડ બનાવાયો છે. જો કે, આ રોડ વચ્ચેથી ખૂબ સાંકડો હોવાને કારણે અને વચ્ચે ફાટક આવતું હોવાને કારણે ટ્રાફિકજામ થાય તેમ છે. સમગ્ર મામલે આજે મનપાની અણઆવડત સામે આવી છે. જેમાં સવારે કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના પુલ પરથી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. જો કે, દોઢેક કિમીનો ટ્રાફિકજામ થતા કલાકોમાં સાંઢિયા પુલને ફરીથી ખોલવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પુલને માત્ર ટ્રાયલ માટે બંધ કરવામાં આવ્યો હોવાનો બચાવ કરવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ, જર્જરિત બનેલા સાંઢિયા પુલનાં સ્થાને નવો ફોરલેન બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. રાજકોટમાં પ્રથમ વખત આ પુલ આખો તોડીને નવો બ્રિજ બનાવવામાં આવનાર છે. જેને કારણે મનપા દ્વારા ડાયવર્ઝન માટે ખાસ ડામર રોડ તૈયાર કરવામાં આવ્યો છે. જો કે, આ રસ્તો વચ્ચેથી સાંકડો છે. તેમજ અહીં રેલવે ફાટક પણ આવતું હોવાથી સાંઢિયા પુલનો ટ્રાફિક અહીંથી પસાર થઈ શકે તેવી શક્યતા ઓછી છે.