રાજકોટનાં જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલને વાહન વ્યવહાર માટે જોખમી જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ અનેક અંતરાયો પાર કરીને મનપા દ્વારા ચૂંટણીની આચારસંહિતા પૂર્વે નવા ફોરલેન બ્રિજ માટેનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરાવ્યું હતું. એપ્રિલ સુધીમાં નવા બ્રિજ માટેની કામગીરી શરૂ કરવામાં આવે તેવું જાહેર કરાયું હતું. જોકે ડાયવર્ઝનનું કામ હજુ બાકી છે. ત્યાં આખો ડામર રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ કામગીરી એપ્રિલનાં અંત સુધીમાં પૂર્ણ કર્યા બાદ હવે મે મહિનામાં જૂનો પુલ તોડવાનું શરૂ કરાશે.
મ્યુ. કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, હાલ ડાયવર્ઝન રોડની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ડાયવર્ઝન માટે આપવામાં આવેલો આખો રસ્તો ડામર રોડ કરવાનો હોવાથી આ મહિનાનાં અંત સુધીમાં કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા છે. ડાયવર્ઝન રોડની કામગીરી પુર્ણ થયા બાદ પુલ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરીને ત્યાર બાદ મે મહિનાથી પુલ તોડવાની કામગીરી કરવામાં આવશે. આ પહેલા પોલીસ તંત્રને જાણ કરવામાં આવશે અને પોલીસ કમિશનર દ્વારા આ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે.