રાજકોટની ભાગોળે કણકોટમાં રૂ.100 કરોડના ખર્ચે 40 હજાર વાર જગ્યામાં નિર્માણ પામનાર સરદારધામનું રવિવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, સમાજના વિકાસમાં સમાજનો પ્રત્યેક નાગરિક સામેલ થાય તે સરકાર માટે આનંદની બાબત છે. સરદારધામના નિર્માણ થકી ભવિષ્યની પેઢી જ્ઞાનના ક્ષેત્રે અવ્વલ શિખરો સર કરશે.
પર્યાવરણ જાળવણીનો સંદેશ આપતા મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પર્યાવરણ સુરક્ષા માટે શરૂ કરાવેલી ‘એક પેડ મા કે નામ’ જેવા અભિયાન અને ‘કેચ ધ રેઇન’ જેવી યોજનાઓ જન સામાન્યની સામેલગીરીથી જ સફળ થઇ શકશે, અને પર્યાવરણનું જતન થઇ શકશે. ગ્લોબલ વોર્મિંગ અટકાવવા ગ્રીન કવર વધારવું પડશે તેવી અપીલ મુખ્યમંત્રીએ કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, સમાજના ઉત્કર્ષ માટે સાચા ભાવથી લીધેલા સંકલ્પો ચોક્કસ સિદ્ધ થતા હોય છે, સામર્થ્યવાન સમાજના વિકાસ થકી રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ થાય છે, વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિના ગુણોની કેળવણી સાથે આપણે સશક્ત રાષ્ટ્રનિર્માણના કાર્યમાં સહભાગી બનવું જોઇએ.