રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે અને એક સપ્તાહમાં શરદી-ઉધરસ, ઝાડા-ઊલટી અને તાવ સહિત અલગ-અલગ બીમારીના 2022 કેસ નોંધાયા છે. મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ જાહેર કરેલા આંકડા મુજબ ડેન્ગ્યુનો 1, શરદી-ઉધરસના 780, સામાન્ય તાવના 957 અને ઝાડા-ઊલટીના 279 કેસ નોંધાયા છે. આ ઉપરાંત કમળાના 3 અને ટાઇફોઇડ તાવના 2 કેસ નોંધાયા છે. મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર પાણીજન્ય રોગચાળાથી બચવા રાબેતા મુજબ માર્ગદર્શિકા જાહેર કરી છે.
વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.21થી 27 દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 45,092 ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 798 ઘરમાં ફોગિંગ કામગીરી કરેલ છે. મચ્છર ઉત્પત્તિ સબબ નોટિસ તથા વહીવટી ચાર્જ વસૂલાતની કામગીરી કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાકમાં 111 અને કોમર્સિયલ 284 આસામીને નોટિસ આ૫વામાં આવેલ છે તથા 63 આસામી પાસેથી મચ્છર ઉત્પત્તિ સબબ રૂા.38,650નો વહીવટી ચાર્જ વસૂલાતની કામગીરી કરવામાં આવી છે.