રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલી શાંતિનિકેતન રેસિડેન્સીની ખાનગી દીવાલ તોડીને મનપાના ટી.પી. શાખાના પૂર્વ ઈજનેરોને બિલ્ડરોના લાભાર્થે રોડ બનાવી નાખ્યો હતો. આ કારણે સોસાયટીમાં પાણી ભરાવાથી માંડી ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે. આ મામલાનો પર્દાફાશ થતાં જ સોસાયટી ધારકોને સમજાવવા માટે ભાજપના નેતાઓની ફોજ ઉતરી પડી છે. બીજી તરફ સોસાયટીના રહીશો પોલીસ ફરિયાદ કરવા માટે કાર્યવાહી કરી રહ્યા છે અને આ માટે પોલીસમાં અરજી પણ આપી છે.
સોસાયટીની દીવાલ પાડવા માટે મનપાના જ પૂર્વ ઈજનેર અને ટી.પી.ના નિષ્ણાતે જણાવ્યું હતું કે, વિસ્તારમાં ટી.પી. રોડ હોય તેને ખુલ્લા કરવાની સત્તા મનપા પાસે છે. આ કેસમાં સોસાયટીનો ખાનગી રોડ છે અને તે સોસાયટીની હદ પૂરી થાય એટલે પૂરો થતા ત્યાં બાઉન્ડરી વોલ કરવાની હોય છે. બે સોસાયટી વચ્ચેનો રોડ ખાનગી હોય અને બંધ હોય તો જ્યાં સુધી બંને સોસાયટીના રહેવાસીઓ સહમત ન થાય ત્યાં સુધી કોઇપણ વ્યક્તિ દીવાલ તોડે તો તે ગેરકાયદે ગણાય છે. આ કેસમાં જેની માલિકીની દીવાલ છે તેની જ સહમતી કે નોટિસ આપ્યા વગર દીવાલ તોડી પાડી હતી અને ખાનગી મિલકતને નુકસાન કર્યું છે.