નાગજીભાઈ બાબરીયા (ઉં.વ.60) સંજયભાઈ નાગજીભાઈ બાબરીયા, અને પૂજાબેન નાગજીભાઈ બાબરીયા આજે બપોરે 11 વાગ્યે ત્રણેય પોતાના ઘરે હતા ત્યારે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી તેઓને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નાગજીભાઈ પાસેથી એક સુસાઇડ નોટ મળી હતી જેમાં તેમને લખ્યું હતું કે, મારે સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે મારો દીકરો સંજય PGVCLમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે રોણકી ખાતે ફરજ બજાવે છે. મારા દીકરાએ કેટલાક લોકો પાસેથી રૂપિયાની જરૂરિયાત ઊભી થતા રૂપિયા લીધા હતા આ લોકોને ઉંચા વ્યાજ સાથે રૂપિયા પરત કર્યા હતા પરંતુ હજુ પણ ઉઘરાણી કરી રહ્યા છે અમારું ઘરનું મકાન પણ વેચાઈ ગયું છે. મારો દીકરો નોકરી ઉપર જાય તો ત્યાં તેને હેરાન કરે છે. મને અવારનવાર ફોન કરીને હેરાન કરે છે અને ધમકીઓ આપે છે મારા ઘરે આવીને આ લોકો ઉઘરાણી કરવા બેસી જાય છે. નાગજીભાઈ સુસાઇડ નોટમાં જયદેવ વિરડા, ભવન ચુડાસમા, દેવશી જીગરભાઈ ટાંક, ચેતનભાઇ સરવૈયા પ્રદીપભાઈ ધારીયા, કિશનભાઇ સીતાપરા, ધ્રુવ દવે, આનંદ પટેલ, મોહિત વગેરેના નામ લખ્યા છે. આ મામલે માલવિયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય બનાવમા ઓમ રેસીડેન્સીમાં રહેતી ગુડીબેન રાજદિપભાઇ જતાપરા (ઉ.વ.24) નામની પરિણીતા ઘરે બેભાન થઇ જતાં 108ને જાણ કરવામાં આવી હતી જેના તબિબ રવિભાઇ રાઠોડે તેણીને તપાસી મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. પોલીસ કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ દ્વારા જાણ થતાં બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. પોલીસ તપાસમાં ગુડીબેનના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હોવાનું અને તેના પતિ છુટકા કામ કરતા હોવાનું સામે આવ્યું છે. પોતે તેણીએ ઝેરી દવા પી લીધાનું સામે આવ હતું જો કે આપઘાત શા માટે કર્યો તે બહાર ન આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.