રાજકોટ શહેરના સંત કબીર રોડ ઉપર કનકનગરમાં ચાંદીકામનો વ્યવસાય કરતા દિપકભાઇ ઉર્ફે દીપો મંડલીએ થોરાળા પોલીસ મથકમાં ઉત્તર પ્રદેશના ગોરખપુરના મુકેશ જયસ્વાલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, આરોપીએ ગોરખપુરના જયસ્વાલ જ્વેલર્સના માલિક તરીકે ઓળખ આપી હતી. જે બાદ કાચી ચાંદી વજન પ્રમાણે આપવાની લાલચ આપી જુદી-જુદી ડિઝાઇનની ચાંદીની લેડીઝ પાયલનો ઓર્ડર આપ્યો હતો. જેથી, વેપારીએ સિલ્વર મિક્સ ઓર્નામેન્ટસાના જુદી-જુદી ડિઝાઇનના 17,29,813 ની કિંમતના 15.723 કિલોગ્રામ દાગીના કુરિયર મારફત ગોરખપુર મોકલ્યા હતા.
જોકે, તે બાદ મુકેશ જયસ્વાલ નામના શખ્સે ઓર્ડરનું પેમેન્ટ આપવાની જગ્યાએ ખોટા ચાંદીના ચોરસા મોકલી દીધા હતા. જેથી પોલીસે તેની સામે સામે BNS ની કલમ 318(4), 319(2) મુજબ ગુનો નોંધ્યો છે અને છેતરપિંડી કરનાર ગોરખપુરના શખ્સને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વ્યાજંકવાદની અરજીમાં કોઈ કાર્યવાહી થશે તો પરિવાર સાથે દવા પી જવાની ધમકી શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અનુજ ડાંગરે ગવલીવાડ શેરી નંબર 12 માં રહેતા શહેનાઝબેન અલ્તાફભાઈ દલવાણી સામે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, શહેનાઝબેન દલવાણી વિરુધ્ધમાં ભીસ્તીવાડમાં રહેતા મુસ્તાકભાઈ ઝુણાચે વ્યાજકવાદીનાં ત્રાસથી મુકિત અપાવવા બાબતની અરજી કરી હતી. જેથી શહેનાઝબેન પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને અરજી બાબતે કોઇ કાર્યવાહી કરવામાં આવશે તો પોતે પરિવાર સાથે દવા પી જશે અને પોલીસ વિરૂધ્ધમાં ફરીયાદ કરશે તેમ જણાવી આરોપીએ પોતાની ઉપર કોઇ કાર્યવાહી ન કરવા ખોટું દબાણ ઊભું કર્યુ હતુ. જોકે પોલીસે મહિલા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.