રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામ બાપાની ભૂમિ જયાં સેવાની જયોત હંમેશા જલતી રહે છે તેવામાં વિરપુર ગામે સામાજીક પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર રહેલી સામાજીક સંસ્થા આવિષ્કાર ફાઉન્ડેશન ટ્રસ્ટના ઉપક્રમે આવતી કાલે તા.23ને રવિવારે ૧૩-મો સર્વજ્ઞાતીય સમુહ લગ્ન ઉત્સવ યોજાશે. જેમાં 18 સર્વજ્ઞાતિના યુગલ પ્રભુતામાં પગલા માંડશે.
અહિંના પ્રખ્યાત કોઠારી મેદાન તરીકે ઓળખાય છે તે ગ્રાઉન્ડમાં સવારે 6 થી 10 દરમિયાન લગ્ન વિધિ આટોપાશે. આ સમુહ લગ્નમાં મુંબઈ શહેરના દાતાઓનો અભૂતપૂર્વ સહયોગ સાંપડ્યો છે. દાતાઓના સહયોગથી દરેક નવદંપતિઓને 75 જેટલી વસ્તુઓ કરીયાવરમાં અપાશે. મુંબઈ શહેરથી દાતા નાનજી ખીમજી થાણાવાલા, ભુલેશ્વર મંદિરના વિકીભાઈ વસાણી, રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા, ક્ષત્રીય યુવા સમાજના પ્રમુખ ગણેશભાઈ જાડેજા, જેતપુરના પૂર્વ ધારાસભ્ય જશુમતીબેન કોરાટ, જેતપુરના મનસુખભાઈ ખાચરીયા, સંતો-મહંતો, પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ, સમસ્ત ખાંટ રાજપુત સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. હિન્દુ શાસ્ત્રોકત લગ્ન વિધિ માનકેશ્વર મંદિરના પૂજારી મુકુન્દ અદા કરાવશે. એક જ દિવસમાં 2000 માણસો માટે ભોજન ઉપલબ્ધ કરાવાશે. 100 સ્વયં સેવકો ખડે પગે સેવા આપશે.
ઉપરોકત સર્વ જ્ઞાતીય સમૂહ લગ્નમાં નવદંપતિઓને આશિર્વાદ આપવા સૌ જ્ઞાતિના આગેવાનો, સાધુ સંતો, ઉપસ્થિત રહેવા સંસ્થાના પ્રમુખ અનિલભાઈ સરવૈયા દ્વારા અપીલ કરાઇ છે.