ગત 15 જુલાઈના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ નીતિ-નિયમો નેવે મૂકી ટેન્ડર વગર જ યશવી ફાઉન્ડેશનના કર્તાહર્તા પરેશ ખંડેલવાલને નવરાત્રી માટે ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં આવેલી મોકાની 1.80 લાખ ચોરસમીટર જગ્યા ફક્ત 62 લાખમાં ભાડેપટ્ટે આપી દીધી હતી. શિક્ષણ માટેથી જગ્યા નવરાત્રી માટે ભાડે આપી દેતાં વિવાદ થયો હતો. આ વિવાદ વધતા હવે યશ્વી એન્ટરટેઇનમેન્ટને ભાડે આપેલી જગ્યાનો ઓર્ડર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યો છે.
જો કે આ પહેલાં આ નિર્ણય અંગે કુલપતિ લુલો બચાવ કરતા પણ સામે આવ્યા હતા. પરંતુ હવે તેમણે પલટી મારવી પડી છે. 15 જુલાઈએ કુલપતિ કિશોરસિંહ ચાવડાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, પોલિસી બનાવ્યાના બે મહિના બાદ યશ્વી ફાઉન્ડેશન દ્વારા અરજી કરવામાં આવી હતી. જેને અમે માન્ય રાખી હતી. યશ્વી ફાઉન્ડેશન દ્વારા આ ગ્રાઉન્ડમાં જે 30થી 40 લાખનું ખર્ચે પુરાણ કરવાનું હતું, તે પણ તે કરી આપવા તૈયાર હતા. જેથી તેમને અરજી આધારે ગ્રાઉન્ડ નવરાત્રી માટે આપવામાં આવ્યું.