રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હૂમલા મામલે આરોપી જયદીપ ચાવડાનું પોલીસ સમક્ષનું નિવેદન સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલ દાખલ નેપાળી યુવકને બ્લડ આપવા માટે ચિઠ્ઠી લખાવવા ગયો હતો. ત્યારે ડો. પાર્થ પંડ્યાએ મા સામે ગાળો આપી હતી અને પેટના ભાગે તેની પાસે રહેલી પેન મારી હતી. જેથી મેં સામે વળતો પ્રહાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વિનય થાપા નામના દર્દીને લોહી ચડાવવાનું હોવાથી તે બાબતે દર્દીના પરિચિત અને ડોક્ટર વચ્ચે ઝઘડો થયા બાદ ડોક્ટર પર હુમલો થયો હતો. જો કે, હાલ વિનય થાપા નામના દર્દીનું મૃત્યુ નીપજ્યું છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, વિનય ગોપાલ થાપા (ઉંમર વર્ષ 35) સદરની હોટલમાં સુપરવાઈઝર હતો. તા. 25 ડિસેમ્બરના રોજ 5.30 વાગ્યા આસપાસ તે સદર પોલીસ ચોકી પાસે હતો. ત્યારે કોઈ કારણે ઈજાગ્રસ્ત પડ્યો હતો. તેને 108માં રાજકોટ સિવિલ લવાયો હતો. જ્યાં તેને માથામાં ગંભીર ઈજા પહોંચી હોવાથી ઓપરેશન કરાયું હતું. જો કે સારવારમાં તેનું મોત નીપજ્યું છે.
બાઇક સાથે પૂરપાટ ઝડપે વીજ પોલ સાથે અથડાયો હતો પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં હિરેન સિસોદિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત 25 ડિસેમ્બરના 5.30 વાગ્યાની આસપાસ વિનય થાપા GJ-03-7256 નંબરનું બાઇક લઈને સદરમાં પૂરપાટ ઝડપે નીકળતા વીજ પોલ સાથે અથડાયો હતો. તેને કારણે માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે આજે શુક્રવારે બપોરે 1.35 વાગ્યે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.