વડોદરા શહેરના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આગામી 11 જાન્યુઆરી, 2026ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમાનાર છે. આ મેચને લઈ ટિકિટ બુક કરાવવા માટે ફેક વેબસાઇટની લિંક વાઇરલ થઈ છે, જેને લઈને બરોડા ક્રિકટ એસોસિએશન દ્વારા ક્રિકેટરસિકોને આવી ફેક લિંક અને વેબસાઇટથી ટિકિટ બુકિંગ ન કરાવવા માટે અપીલ કરી છે. આ સાથે જ આવનાર દિવસોમાં ટિકિટ બુકિંગને લઈને BCA દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેવુ જણાવ્યું છે.
વિરાટ કોહલી અને રોહિત શર્માને લઈ લોકોમાં ભારે ઉત્સાહ વડોદરા શહેરના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત ન્યૂઝીલેન્ડ વનડે મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચ રમવા માટે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સ્ટાર ખેલાડીઓ આવનાર છે, જેથી ફેન્સ તેમના સ્ટાર ખેલાડીઓને જોવા માટે ઉત્સુક છે. આવા સમયે લોકોને છેતરવા માટે ભેજાબાજો સક્રિય થઈ ગયા છે. કેટલીક નકલી વેબસાઈટ બનાવીને ફ્રોડ ટિકિટ વેચી રહ્યા છે અને લોકો તેમાં છેતરાઈ રહ્યા છે, જેને પગલે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા લોકોને આ જાળમાં ન ફસાવા ખાસ અપીલ કરવામાં આવી છે.
બરોડા ક્રિકેટ એસોસિએશનના ટ્રેઝરર શિતલ મહેતાએ જણાવ્યું હતું કે, BCA દ્વારા કોટંબી ખાતે એક ભવ્ય સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ નવા સ્ટેડિયમમાં આગામી 11 જાન્યુઆરીએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે ઇન્ટરનેશનલ (ODI) મેચ રમાવાની છે. વડોદરામાં લાંબા સમય પછી આંતરરાષ્ટ્રીય મેચ યોજાઈ રહી હોવાથી ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ આ ઉત્સાહનો ગેરલાભ ઉઠાવવા માટે કેટલાક તત્વો ખોટી લિંક્સ અને નકલી વેબસાઈટ દ્વારા ટિકિટ બુકિંગના બહાને લોકોને છેતરી રહ્યા છે.