લોધિકા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાયમી ધોરણે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ફાળવણી થતાં તાલુકાભરના લોકોમાં રાહતની લાગણી વ્યાપી છે. લોધિકા તાલુકા કક્ષાનું એકમાત્ર આરોગ્ય કેન્દ્ર હોવાને કારણે અહીં લોધિકા સહિત આસપાસના ગામોના લોકો સારવાર માટે આવતા હોય છે.
ઉપરાંત, લોધિકાથી મેટોડા જી.આઇ.ડી.સી. અને શાપર જી.આઇ.ડી.સી.ને જોડતો સ્ટેટ હાઇવે પસાર થતો હોવાથી અવારનવાર નાના-મોટા અકસ્માતો બનતા રહે છે. અગાઉ અકસ્માત સમયે 108ને અન્ય સ્થળેથી બોલાવવી પડતી, જેના કારણે વિલંબ થતો અને દર્દીને મુશ્કેલીમાં મુકાવું પડતું.
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને લોધિકા શિવસેનાના પ્રમુખ ગૌરવ હંસોરા અને ઉપપ્રમુખ અશોકભાઈ વસોયાએ આરોગ્ય તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. તેના અનુસંધાને સરકાર દ્વારા લોધિકા આરોગ્ય કેન્દ્ર ખાતે કાયમી 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.
હાલ પાયલોટ યોગેશભાઈ સોરઠીયા, રમેશભાઈ ઠાકર અને ઈએમટી દિનેશભાઈ રાઠોડની ટીમ સતત કાર્યરત રહી છે અને અત્યાર સુધી પચાસ જેટલા દર્દીઓને તાત્કાલિક સારવાર આપી સમયસર હોસ્પિટલ પહોંચાડ્યા છે. આ નવી સુવિધાથી લોધિકા વિસ્તારમાં અકસ્માત પીડિતોને ઝડપી આરોગ્ય સહાય ઉપલબ્ધ થશે.