લિકર પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સીબીઆઈ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે શુક્રવારે કહ્યું – બંને સામે કોઈ પુરાવા નથી, આરોપો સાબિત થઈ શકતા નથી. સીબીઆઈએ કાવતરું ઘડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો સિદ્ધાંત નક્કર પુરાવાને બદલે અનુમાન પર આધારિત હતો.
સીબીઆઈએ આ કેસમાં કુલ 23 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. સ્પેશિયલ જજ જીતેન્દ્ર સિંહે બધા સામે આરોપો ઘડવાનો ઇનકાર કર્યો હતો અને બધાને નિર્દોષ જાહેર કર્યા હતા. તપાસ એજન્સીએ લગભગ 6 કલાક પછી દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. નિર્દોષ જાહેર થયા બાદ અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
જેમાં તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે અમારા વિરુદ્ધ કાવતરું રચ્યું. જ્યારે તેઓ અમને હરાવી શક્યા નહીં, એટલે અમને ખતમ કરવા નીકળ્યા. બંનેએ દેશની માફી માગવી જોઈએ.
કેજરીવાલે કહ્યું, ‘આજે મારા દિલ પરથી એક મોટો બોજ ઊતરી ગયો છે. તમે ઘણા બધા કેસ દાખલ કર્યા. તમે અમારા પર ED, CBI અને પોલીસનો બોજ નાખ્યો. એક સમયે આપના ટોચના 5 નેતા જેલમાં હતા, પરંતુ તમે કોઈ નુકસાન કરી શક્યા નહીં.’
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, હવે ફક્ત હત્યા કરાવીને જ કેજરીવાલને કંટ્રોલ કરી શકો છો. દિલ્હીના 3 કરોડ લોકો મોદી અને શાહના કાવતરાનાં પરિણામો ભોગવી રહ્યા છે.