રાજપાલ યાદવે તાજેતરમાં દિલ્હીની તિહાડ જેલમાં આત્મસમર્પણ કર્યું છે. ચેક બાઉન્સ કેસમાં તેની રાહત અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાલમાં રાજપાલ યાદવ આર્થિક સંકડામણ ભોગવી રહ્યો છે. તેવામાં જન શક્તિ જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ યુનિયન રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજ પ્રતાપ યાદવે એક્ટરના પરિવારને ₹11 લાખની આર્થિક મદદ કરી છે.
ખરેખર, રાજપાલ યાદવ વિરુદ્ધ એક જૂના ચેક બાઉન્સ કેસમાં અદાલતે સજા સંભળાવી હતી. આ મામલે રાહત મેળવવા અને ભંડોળની વ્યવસ્થા કરવા માટે રાજપાલ તરફથી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી. આ પછી નિર્ધારિત પ્રક્રિયા હેઠળ રાજપાલ યાદવને તિહાડ જેલમાં આત્મસમર્પણ કરવું પડ્યું. આ ઘટનાક્રમ પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેમના ચાહકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો.
માનવીય ધોરણે રાજપાલ યાદવના પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો. તેજ પ્રતાપ યાદવે ₹11 લાખની આર્થિક સહાય આપીને આ સંદેશ આપ્યો કે, મુશ્કેલ સમયમાં કોઈ કલાકાર અને તેના પરિવારને એકલા છોડવા ન જોઈએ. પાર્ટી સૂત્રો અનુસાર, આ મદદ સંપૂર્ણપણે માનવીય સંવેદના હેઠળ કરવામાં આવી છે અને તેનો કોઈ રાજકીય લાભ સાથે કોઈ સંબંધ નથી.
તેજ પ્રતાપ યાદવે કહ્યું કે, ‘રાજપાલ યાદવે પોતાના અભિનય અને કોમેડી દ્વારા દેશભરના લોકોના ચહેરા પર સ્મિત વેર્યું છે. જ્યારે આવા કલાકારો અંગત અને કાનૂની મુશ્કેલીઓમાંથી પસાર થાય છે, ત્યારે સમાજ અને જવાબદાર લોકોએ આગળ આવીને સહયોગ કરવો જોઈએ.’ તેણે આશા વ્યક્ત કરી કે, રાજપાલ યાદવ અને તેમનો પરિવાર આ મુશ્કેલ સમયમાંથી જલ્દી બહાર આવશે.