રાજકોટ-મોરબી હાઇવે પર રૂ.90 લાખની લૂંટના કેસમાં ટિપ્સ આપનાર, કાવતરું ઘડનાર અને આશરો આપનાર મુખ્ય કાવતરાખોર ટંકારા તાલુકાના લખધીરગઢ ગામના દિગ્વિજય અમરશી ઢેઢીએ જામીન પર છૂટવા કરેલી અરજી અદાલતે નામંજૂર કરી છે.
આ કેસની વિગત એવી છે કે આ કામના ફરિયાદી નિલેશ ભાલોડી અને ડ્રાઇવર સહિતના શાહેદો રાજકોટથી પોતાની કાર લઇ આંગડિયા પેઢીના રૂ.90 લાખ બેન્કમાંથી લઇને મોરબી જતા હતા ત્યારે નંબર પ્લેટ વગરની પોલો અને બલેનો કારમાં ધસી આવેલા પાંચથી સાત શખ્સે ફરિયાદીની કારને ઠોકરે લઇ લાકડાંના ધોકા, પાઇપ, છરી વડે હુમલો કરતા ફરિયાદી અને શાહેદો ભાગ્યા હતા
ત્યારે ખજૂરા હોટેલ પાસે ફિલ્મી ઢબે કાર આંતરી રૂ.90 લાખની લૂંટ ચલાવી હતી. પોલીસે નિલેશ મનસુખભાઇ ભાલોડીની ફરિયાદ પરથી ગુનો નોંધી બીજા દિવસે જ લૂંટ ચલાવનાર બે આરોપીની ધરપકડ કરી હતી જેમાં આરોપી દિગ્વિજય અમરશી ઢેઢીનો સમાવેશ પણ થાય છે.
આરોપીએ અદાલતમાં જામીન પર છૂટવા અરજી કરી હતી જેનો ફરિયાદીના વકીલ સુરેશ ફળદુએ વિરોધ કરતાં રજૂઆત કરી હતી કે, અરજદાર વિરુદ્ધ સ્ટ્રોંગ પ્રાઇમાફેસી કેસ છે.
આરોપીએ પોતાના મોબાઇલ અને ધંધાના સ્થળે આરોપીઓ સાથેની સંડોવણીના સીસીટીવી ફૂટેજના નાશ કરેલ છે. જે દલીલો ધ્યાને લઇ અદાલતે આરોપી દિગ્વિજય અમરશી ઢેઢીની જામીન અરજી નામંજૂર કરી હતી.