ગત તારીખ 25.11.2024ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પૂજારા પ્લોટ મેઇન રોડ ઉપરથી સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચાર્યની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપી યુવરાજ ઉર્ફે રાજભા મનુભા વાળાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આરોપી વિરુદ્ધ અદાલતમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ જેલમાંથી આરોપીએ જામીન ઉપર છૂટવા પોકસો અદાલતમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકિલ હાજર રહી અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી કે, આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે. આરોપી ભોગબનનાર સગીર વયની હોવાનું જાણવા છતાં તેને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી લઈ જઈ તેના ઉપર દુષ્કર્મ આચર્યું છે.
આવા ગુનામાં આરોપીને જામીન આપવા જોઈએ નહીં. આ મુજબ રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ વી.એ.રાણાએ આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરી છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.
અન્ય બનાવમાં શહેરનાં ભગવતીપરામાં રહેતા 35 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતાં મોત નીપજ્યું છે. ભગવતીપરામાં આવેલ જય પ્રકાશ નગર સોસાયટીમાં રહેતાં અખિલેશકુમાર રામચંદ્રકુંવર સોલંકી (ઉ.વ.35) નામનો યુવક આજે સવારનાં પોતાનાં ઘરે હતો ત્યારે હાર્ટ એટેક આવતાં બેભાન થઈ જતાં તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવારમાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃત્યુ પામનાર યુવક કારખાનામાં કામ કરતો હતો અને તે પોતે અપરિણીત હતો તેમજ તે બે ભાઈમાં નાનો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું તબીબી અભિપ્રાયમાં સામે આવ્યું છે.