પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ પૂર્ણ થવામાં હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. અત્યાર સુધીમાં કરોડો લોકો ત્યાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે ત્યારે પશ્ચિમ રેલવેએ પણ 125 સ્પેશિયલ ટ્રીપ દોડાવી 1.65 લાખ યાત્રાળુને પ્રયાગરાજ મહાકુંભની યાત્રા કરાવી છે. રાજકોટ સહિત વેસ્ટર્ન રેલવેના જુદા-જુદા સ્ટેશનો પરથી મુસાફરો માટે વિશેષ ટ્રેન મૂકી જેનો ભાવિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો.
મહાકુંભ મેળામાં હાજરી આપવા માટે આવતા યાત્રાળુઓના આ વિશાળ ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે, પશ્ચિમ રેલવેના વિવિધ સ્ટેશનો જેમ કે અમદાવાદ, સાબરમતી, મુંબઈ સેન્ટ્રલ, વાપી, વલસાડ, ઉધના, વડોદરા, વિશ્વામિત્રી, ભાવનગર, રાજકોટ, ઇન્દોર વગેરે પરથી 125 ટ્રીપ ખાસ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનિત અભિષેકે જણાવ્યું કે, વિશેષ ટ્રેનો પ્રયાગરાજ તેમજ નજીકના અન્ય રેલવે સ્ટેશનો સુધી દોડાવવામાં આવી રહી છે. આજ સુધી પશ્ચિમ રેલવેએ આ કુંભ વિશેષ ટ્રેનો દ્વારા 1.65 લાખથી વધુ શ્રદ્ધાળુઓને લઈ જવામાં આવ્યા છે.