રાજકોટની રેફ્યુજી કોલોની-સિંધી કોલોની પાસે આવેલા કબ્રસ્તાન નજીક દુકાનનું ગેરકાયદે બાંધકામ થઇ રહ્યાની અને ફરિયાદ કરવા છતાં મહાનગરપાલિકાના ટીપી શાખાના જવાબદારો કોઇ કાર્યવાહી કરતાં ન હોવાની રાવ રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખે કરી છે.
પૂર્વ પ્રમુખ સંજય વ્યાસે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં રેફ્યુજી કોલોની-સિંધી કોલોની પાસે કબ્રસ્તાન પાસે આવેલ ગેરકાયદેસર દુકાનમાં 15 ફૂટનું વધુ ગેરકાયદેસર દબાણનું બાંધકામ ચાલુ કરવામાં આવ્યું હોવાનું ધ્યાનમાં આવતા તા.9-2ના રોજ કોર્પોરેશનની ઓનલાઈન ફરિયાદ વિભાગમાં ટીપી શાખામાં મેં તે અંગે ફરિયાદ કરી હતી. બીજા દિવસે ત્યાંના રાઠવાભાઈનો ફોન આવતા મેં તેઓને સ્થળની વિગત આપેલ ત્યારબાદ 2 કલાક બાદ મેં તેઓને ફોન કરેલ તેમને જણાવેલ કે મેં નોટિસ આપી છે કામ બંધ થઇ જશે.
પરંતુ બીજા દિવસે પણ સખત રીતે આડસ મૂકી કામ ચાલુ રાખતા મેં તેઓને ચાલુ કામના ફોટા મોકલી જાણ કરેલ અને તા.11-2ના કામ ચાલુ છે તેમ જણાવી વધુ 1 ફોટો ચાલુ કામનો મોકલ્યો હતો. આ બધી કાર્યવાહી કરવા છતાં મારી બીજી ફરિયાદ તા.11-2 ની પણ લેખિત ફરિયાદ જરૂરી છે તેવી નોંધ સાથે બંધ કરેલ છે. જો આ ગેરકાયદેસર દબાણ 3 દિવસમાં દૂર કરવામાં નહીં આવે તો આ પ્રકરણમાં સંડોવાયેલ તમામ લોકો સામે ગુજરાત હાઈકોર્ટેમાં પણ કાર્યવાહી કરવાની ફરજ પડશે.