રાજકોટમાં વ્યાજખોરી નાબુદ કરવાના પોલીસના અભીયાન દરમ્યાન વ્યાજખાેરો બેકાબુ બન્યા હોય તેવો બનાવ સામે આવ્યો છે. સરધાર ગામ નજીક લોધિડા ગામે રહેતા યુવકને પૈસાની જરૂર પડતા તેના ગામમાં રહેતા વ્યાજખદોર બેલડી પાસેથી ઉંચા વ્યાજે રૂ.4.50 લાખ વ્યાજે લીધા હતા બાદમાં કટકે-કટકે રૂપિયા 7.63 લાખ આપી દીધા છતાં વધુ રૂ.8.50 લાખ આપવાનું કહી બેલડી લોખંડના પાઇપ વડે હુમલો કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરતા આજી ડેમ પોલીસે ગુનો નોંધી એક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે અન્ય એક શખ્સને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સરધારના લોધિડા ગામે રહેતા અને રાજકોટમાં યાજ્ઞિક રોડ પર કમ્પ્યૂટર ઓપરેટર તરીકે નોકરી કરતો સાગર રમેશભાઇ ભાલિયાએ તેના ગામમાં રહેતા ભાવેશ મનસુખભાઇ સોલંકી અને તેનો ભાઇ વિપુલ સામે ફરિયાદ કરી હતી. સાગરે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને દોઢેક વર્ષ પહેલાં પૈસાની જરૂર પડતા તેને તેના ગામમાં રહેતા અને વ્યાજનો ધંધો કરતો ભાવેશ અને તેનો ભાઇ વિપુલ પાસેથી રૂ.4.50 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા બાદમાં તેને કટકે-કટકે વ્યાજ સહિત 7.63 લાખ રૂપિયા આપી દીધા હતા.