ગત 7 નવેમ્બર, 2025ના રોજ રાજ્ય સરકારે પાક નુકસાની માટે 10 હજાર કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ પેકેજની જાહેરાત કરી હતી. આ સહાય પિયત અને બિનપિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22000 ચૂકવાશે, એમાં 16500 ગામના ખેડૂતોને લાભ મળશે.
આ સહાય પેકેજનો લાભ આપવા 14મી નવેમ્બર (શુક્રવાર)ના રોજ બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી https://krp.gujarat.gov.in પોર્ટલ પર ખેડૂતોની અરજી સ્વીકારવામાં આવી રહી હતી. જોકે, રાજ્ય સરકાર દ્વારા અરજીની સમયમર્યાદામાં 7 દિવસનો વધારો કરાવમાં આવ્યો છે. જેથી ખેડૂતો હવે 5 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તથા ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સલાહ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યનો કોઈપણ નુકસાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા સમયમર્યાદા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના તમામ નુકસાનગ્રસ્ત ખેડૂતોને અપીલ કરી છે કે, જેઓએ હજુ સુધી અરજી કરી નથી તેઓ આવતા 7 દિવસમાં અવશ્ય અરજી કરે અને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ મેળવે.