ચેક બાઉન્સ કેસમાં દિલ્હીની તિહાડ જેલમાં ગયેલા એક્ટર રાજપાલ યાદવનો મામલો ગરમાવા લાગ્યો છે. રાજપાલની મદદ માટે સોનુ સૂદ અને તેજ પ્રતાપ યાદવ સહિત અનેક હસ્તીઓ આગળ આવી છે. જોકે, રાજપાલના મોટા ભાઈ શ્રીપાલ યાદવે આ સમાચારોનું ખંડન કર્યું છે.
શ્રીપાલે દાવો કર્યો- ‘અત્યાર સુધી રાજપાલને કોઈએ આર્થિક મદદ કરી નથી. અમારા ખાતામાં એક પણ રૂપિયો આવ્યો નથી. કોઈએ ફોન કરીને પરિવારનો સંપર્ક પણ કર્યો નથી.’ તેમણે ગુસ્સામાં કહ્યું- ‘મારો ભાઈ બોલિવૂડમાં મહેનત કરી રહ્યો છે, કોઈની પાસે ભીખ નથી માંગી રહ્યો. જ્યાં સુધી સોનુ સૂદે મદદ માટે કહ્યું છે, તો વિશ્વાસ છે કે તે મદદ કરશે.’
રાજપાલ યાદવ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના વતની છે. અહીં તેનું કુંડરા ગામમાં આલીશાન ઘર છે. એક વર્ષ પહેલા જ તેમના પિતા નૌરંગ લાલનું દિલ્હી AIIMSમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. ત્યારબાદ તે જાન્યુઆરી 2025માં પિતાના અંતિમ સંસ્કાર માટે શાહજહાંપુર આવ્યો હતો.
રાજપાલ યાદવે 2010માં એક ફિલ્મ બનાવવા માટે પ્રાઇવેટ કંપની પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ફિલ્મ ફ્લોપ રહી અને સમયસર કંપનીને ચૂકવણી કરી શક્યો નહીં. કંપનીએ 2018માં કેસ કર્યો. આ જ મામલે રાજપાલ યાદવને જેલ થઈ છે.