રાજકોટ TRP ગેમોઝોન અગ્નિકાંડ કેસમાં પોલીસે 15 આરોપીઓની ધરપકડ કરી બાદમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જે રજૂ થયા બાદ આરોપીઓ જામીન પર છૂટવા અરજી કરતા હોય છે, પરંતુ હજુ સુધી એકપણ આરોપીને રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા નથી. મનપાના તાત્કાલીન ડેપ્યુટી CFO ભીખા ઠેબાએ પણ 27 નવેમ્બરના રોજ કરેલી જામીન અરજી મામલે સુનવણી હાથ ધરી હતી. આજરોજ ભીખા ઠેબાની ચાર્જશીટ પછીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે અને હવે એસીબીના અપ્રમાણસર મિલ્કત કેસમાં જામીન પર છૂટવા આજે ભીખા ઠેબા દ્વારા અરજી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના નાના મવા રોડ પર 25 મેં 2024ના રોજ સાંજના સમયે TRP ગેમઝોન ખાતે અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 27 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા અને 3 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ગેમઝોનના માલિક સંચાલકો તેમજ વેલ્ડિંગ કરતા કોન્ટ્રાકટર અને મનપાના અધિકારીઓ કર્મચારીઓ સહિત 15 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ફાયર વિભાગના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, તાત્કાલીન ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા અને સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે 15 આરોપીઓ સામે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યા બાદ ગત તારીખ 27 નવેમ્બરના રોજ તાત્કાલીન ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાએ જામીન પર છૂટવા અરજી કરી હતી. જેની આજ સુનવણી હાથ ધરવામાં આવતા કોર્ટે ભીખા ઠેબાએ કરેલી જામીન અરજી નામંજૂર કરી દીધી હતી.