રાજકોટ હિટ એન્ડ રનમાં પ્રૌઢનું મોત

પ્રવિણભાઈ સંઘાભાઈ સોલંકી (ઉં.વ.50) આજે બપોરે 1:30 વાગ્યા આસપાસ બાઈક લઈને જતા હતા, ત્યારે કુવાડવા ગામ નજીક હાઇવે પર અજાણી કારનો ચાલક અડફેટે લઈ નાસી ગયો હતો, જેને રાહદારીઓએ ઈજાગ્રસ્ત પ્રવિણભાઈને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલા મોત નીપજ્યું હતું. પરિવારના જણાવ્યા મુજબ કુવાડવા પાસે પ્રવિણભાઈએ વાડી વાવવા માટે રાખી છે. આજે સગામાં એક જગ્યાએ શ્રીમંત પ્રસંગ હોવાથી પ્રવિણભાઈ તેમના પત્નીને શ્રીમંત પ્રસંગમાં મૂકીને પરત વાડીએ જતા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી પ્રવિણભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત સર્જી નાસી જનાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. મૃતકને સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી હોવાનું સામે આવ્યું છે.

માતાના વિયોગમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું રાજકોટ શહેરના પુનિત નગર પાણીના ટાંકા પાસે રહેતા કિરીટસિંહ ભુપતસિંહ સીસોદીયા (ઉં.વ.38એ ગઈકાલે રાત્રે 2 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા, ત્યારે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારજનોની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, કિરીટસિંહ રીક્ષા ચલાવતા હતા ગત 31 ડિસેમ્બરના રોજ તેમના માતા રામબા (ઉં.વ.73)નું બીમારી સબબ મૃત્યુ થયું હતું જેથી કિરીટસિંહ ગુમસુમ રહેતા હતા. ગઈકાલે રાત્રે તેમના પત્ની સોનલબેનની નીંદર ઉડી અને જોયું તો પતિ કિરીટસિંહએ સાડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેથી તેઓએ કલ્પાંત કરતા પરિવારના બીજા સભ્યો અને પાડોશીઓ દોડી આવ્યા હતા. તેમને સંતાનમાં 1 દીકરો અને 2 દીકરી છે. માતાના અવસાન પછી માતાના વિયોગમાં પુત્ર કિરીટસિંહે અંતિમ પગલું ભરી લીધાનું અનુમાન છે. જો કે પોલીસે આ અંગે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *