રાજકોટ સોની બજારમાં વધું એક સોની વેપારી સાથે કરોડોની છેતરપિંડી થયાનું સામે આવ્યું છે. બંસીધર જવેલર્સનું ફાઇન કરવાં લીધેલ 2.56 કરોડનું સોનું લઈ બંગાળી બેલડી ફરાર થઈ જતાં સોની બજારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. છેલ્લા 15 વર્ષથી સોની બજારમાં રહેતાં ગૌરાંગોદાસ અને તેના ભાઈ સૌરભે વેપારી આશિષભાઇ નાંઢાને દેશભરના સારા-સારા વેપારી ઓળખે છે. તમે મેટલ રોકો તો આપડે મોટે પાયે કામ ચાલુ કરીયે કહીં અલગ અલગ સમયે સોનું પડાવી છેતરપિંડી આચરતાં એ. ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે લક્ષ્મીવાડી મેઇન રોડ નરેન્દ્ર પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતાં આશિષભાઇ જાદવજીભાઈ નાંઢા (ઉ.વ.41) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગૌરાંગોદાસ તરૂણદાસ, તેનો ભાઈ સૌરભ તરૂણદાસનું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે બીએનએસ એક્ટ 316(4) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઓર્ડર પ્રમાણે દાગીના બનાવી વેપારીને મોકલી આપતા ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 25 વર્ષથી સોની કામ કરે છે. હાલ સોની બજાર જુની ગધીવાડ સોના ચેમ્બરની બાજુમા શ્રધ્ધા કોમ્પલેક્સમાં શ્રી બંસીધર જવેલર્સ નામની દુકાન છેલ્લા એક વર્ષથી ધરાવી સોની કામ કરે છે. તેમજ તે સિવાય કોઠારીયા નાકા ચોક પાસે આવેલા એ વન કોમ્પલેક્સમાં બંસીધર સેલ્સ નામની દુકાન વર્ષ 2008થી ચલાવે છે. તેઓ સોનાના દાગીના બનાવડાવી જુદા જુદા વેપારીને ઓર્ડર પ્રમાણે મોકલી આપતા હતા. દાગીના તેઓ અલગ અલગ કારીગરો રાખી બનાવડાવે છે. અને છેલ્લા એક વર્ષથી સોની બજાર જુની ગધીવાડ સોના ચેમ્બરની બાજુમા શ્રધ્ધા કોમ્પલેક્સમાં આવેલ શ્રી બંસીધર જ્વેલર્સમાં બંગાળી કારીગર રાખી દાગીના બનાવડાવતો હતો. બંગાળી કારીગર ગૌરાંગો અને તેનો ભાઈ સૌરભદાસ, ગૌરાંગોનો સાળો બિલ્ટુ ત્યા છેલ્લા એકાદ વર્ષથી કામ કરે છે.