રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ બે લોકોના મોત થયાનું સામે આવ્યું છે. 17 વર્ષીય હર્ષિલ ગોરી અને 40 વર્ષીય મુકેશ ફોરિયાતરનું હાર્ટ એટેકથી મોત થયાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. સિવિલ ચોકીના સ્ટાફે સ્થાનિક પોલીસને જાણ કરી બન્ને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. એકના એક આશાસ્પદ યુવાનનું મોત નિપજતા ગોરી પરિવારમાં કલ્પાંત છવાયો છે.
શહેરના સંતકબીર રોડ પર ગોકુલનગરમાં રહેતા અને ધોરણ 11માં અભ્યાસ કરતા હર્ષિલ ગોરી નામનો યુવાન ગઈકાલે રાત્રિના 10 વાગ્યે નવાગામ ખાતે પોતાના કાકાના ટ્રાન્સપોર્ટ ઓફિસ ખાતે ગયો હતો અને ઓફિસ બહાર ઓટા ઉપર ઉભા ઉભા પાણી પીતો હતો અને અચાનક ઢળી પડ્યો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર કારગત નીવડે તે પહેલા જ યુવાને દમ તોડી દેતા મોત નીપજ્યું હતું અને પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યા મુજબ હર્ષિલ ગોરી પરિવારનો એકનો એક પુત્ર હતો તેણે વેક્સીન પણ લીધી નહોતી. એકાએક ઢળી પડતા હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ મોત નિપજતા મોતનું સાચું કારણ જાણવા હોસ્પિટલ ચોકીના સ્ટાફે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તારણ હાર્ટ-એટેકથી મોત થયાનું સામે આવ્યું છે.