રાજકોટ શહેર પોલીસ ગુના નોંધવાને બદલે ભોગ બનનારને પરેશાન કરતી હોવાનું પુરવાર કરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રેલનગરમાં રહેતી મહિલા તેની ચાર વર્ષની બાળકી સાથે છેલ્લા દોઢ વર્ષથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાઇ રહી છે અને તેના એએસઆઇ પતિ પરસ્ત્રી સાથે રહી વ્યભિચાર આચરતા હોવાની રાવ કરી રહ્યાં છે, પરંતુ તેમની ફરિયાદ લેવામાં આવતી નથી. જિલ્લા પોલીસ પણ આ મહિલાને અલગ અલગ વાતો કરી પરેશાન કરી રહી છે. રેલનગરમાં રહેતા ઇલાબા ઝાલાએ રાજકોટ રેન્જ આઇજીની કચેરીમાં આપેલી લેખિત ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં એએસઆઇ સુખદેવસિંહ ભગવતસિંહ ઝાલાનું નામ આપ્યું હતું. ઇલાબાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન સુખદેવસિંહ સાથે 11 જૂન 2011ના થયા હતા અને સંતાનમાં ચાર વર્ષની પુત્રી છે.
પતિને છેલ્લા બે વર્ષથી ગીતા ગોસ્વામી નામની ત્યક્તા સાથે સંબંધ છે અને તે બંને માધાપર ચોકડી નજીક અમી હાઇટ્સ પાસે આવેલા રત્નવિલામાં રહે છે. ઇલાબાએ આક્ષેપ કર્યો હતો કે, તેના પતિ સુખદેવસિંહે ગીતા સાથે લગ્ન કરી લીધા છે અને બંને સોશિયલ મીડિયામાં તે અંગેના ફોટા પણ અપલોડ કરે છે. પતિ સુખદેવસિંહ ઘરે આવતો નથી, ઘર ખર્ચ આપતો નથી અને ઇલાબાને સતત ધમકી આપે છે.
પતિ સામે ફરિયાદ કરવા ઇલાબા દોઢ વર્ષમાં પાંચ વખત પ્ર.નગર પોલીસ સ્ટેશને ગયા હતા. ત્રણ વખત મહિલા પોલીસ સ્ટેશને ગયા હતા. બે વખત 181ને બોલાવી હતી, પરંતુ તેમની ફરિયાદ કોઇ લેતું નથી. ઇલાબા બે વખત રેન્જ આઇજી અશોક યાદવને મળવા તેમની કચેરીએ ગયા હતા પરંતુ આઇજી મળ્યા નહોતા, પરંતુ તેના કોઇ કર્મચારીએ વીંછિયા સુખદેવસિંહના અધિકારીને મળો તેમ કહી રવાના કરી દીધા હતા. ઇલાબાએ એવો આક્ષેપ કર્યો હતો કે, પોલીસ જમાદાર પતિ સુખદેવસિંહ અનેક વખત ગીતાની હાજરીમાં ફોન કરી ઇલાબાને ગાળો ભાંડે છેે.