રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી એસ. રવિ બુધવારે સાંજે રાજકોટ પહોંચ્યા હતા અને ઈન્ચાર્જ કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં દબાણ મુદ્દે ખાસ ભાર મૂક્યો હતો.
ગાંધીનગરથી જામનગર જવા રવાના થયેલા સચિવ જયંતી રવિએ સુરેન્દ્રનગર જિલ્લો અને રાજકોટ જિલ્લાનો રસ્તામાં જ રિવ્યૂ કરવાનું નક્કી કર્યું હતું. સુરેન્દ્રનગર બેઠક કર્યા બાદ તેઓ રાજકોટ પહોંચ્યા હતા. ઈન્ચાર્જ કલેક્ટર તુષાર સુમેરા સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેઓએ મુખ્ય ચાર મુદ્દા પર ભાર મૂક્યો હતો. સરકારની સ્વામિત્વ યોજનામાં મહત્તમ અને ઝડપથી લોકોને પ્રોપર્ટી કાર્ડ મળી રહે તે સુનિશ્ચિત કરવા કહ્યું હતું. સરકારી જમીનોમાં થયેલા દબાણોનો સરવે કરીને દબાણ દૂર કરવા કલેક્ટર તંત્રને સૂચના આપી હતી. જ્યારે ડીઆઈએલઆરને કહ્યું હતું કે રિ-સરવે અને તેમાં આવેલા વાંધા સૂચનોની કામગીરી ઝડપી અને ક્ષતિ વગર પૂરી કરવી જોઇએ. આ સિવાય તેમણે આ તમામ કામગીરી માત્રને માત્ર ઈ સરકાર મારફત કરીને તમામ ફાઈલનું મોનિટરિંગ કરવા માટે અને તેનું યોગ્ય રિપોર્ટિંગ કરવા માટે કહ્યું હતું.